દીપક રાવલ
દીપકકુમાર હિંમતલાલ રાવલનો જન્મ પીપળવા (જિ. અમરેલી)માં તા- 4 માર્ચ, 1957ના રોજ થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધંધુકાની બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલમાં લીધું. ગુજરાતી વિષયમાં બી.એ. (1980) કે. કે. આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ધંધુકામાં, 1982માં ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રંથાલય વિજ્ઞાનમાં B.LIB.SC થયા. એમ.એ (1984)નો અભ્યાસ આર્ટ્સ કૉલેજ મોડાસામાં કર્યો. પ્રો. સતીશ વ્યાસનાં માર્ગદર્શનમા ‘અદ્યતન દીર્ઘ કવિતા’ વિષય પર સંશોધન કરીને 1991માં પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી. સૌ પ્રથમ ગ્રંથપાલ તરીકે આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ભિલોડામાં કારકિર્દીનો આરંભ કર્યો. 1988માં આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ખેડબ્રહ્મામાં ગુજરાતી વિષયના વ્યાખ્યાતા તરીકે જોડાયા. એ જ કૉલેજમાં 2000માં પ્રિન્સિપાલના પદ પર નિયુક્ત થયા. તેમણે 2005માં સ્વૈચ્છીક નિવૃત્તિ સ્વીકારી અને HSMP વિઝા મેળવી લંડન, ઈંગ્લેન્ડ ગયા. લંડનમાં થોડો સમય ત્યાંના ‘ગુજરાત સમાચાર’માં ‘એસોસિએટ એડિટર’ તરીકે સેવાઓ આપી. તેઓ કૌટુંબિક કારણોસર 2008માં ઈંગ્લેન્ડથી પાછા આવ્યા અને પાલનપુરની ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા અને ત્યાં 2009થી 2014 સુધી સેવાઓ આપી. 2014માં એમ. એસ. યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરાના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને હેડ નિમાયા. 2019માં વયનિવૃત્ત થયા.
વાચન, લેખન અને અભિનય તેમની ગમતી પ્રવૃત્તિઓ રહી છે. દીપક રાવલનાં ચૌદ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમનું પ્રથમ પુસ્તક ‘મુક્ત દીર્ઘ કવિતા’ 1992માં પ્રકાશિત થયું. બીજું પુસ્તક ‘ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા’ (સહસંપાદક સતીશ વ્યાસ) પ્રકાશિત થયું જે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર અને મુંબઈ યુનિવર્સિટીના એમ.એ.ના અભ્યાસક્રમમાં સ્થાન પામ્યું હતું. ‘શબ્દપ્રેક્ષા’, ‘સાહિત્યનો આસ્વાદ’ (અન્ય સંપાદકો સાથે) વિવેચનનાં પુસ્તકો છે. સતીશ વ્યાસના દીર્ઘ નાટકોનું સંપાદન ‘સમગ્ર નાટક’ નામે પ્રગટ થયું છે. ‘બારી’ તેમનો વાર્તાસંગ્રહ છે. ડૉ. મદનમોહન શર્માએ ‘બારી’ વાર્તાસંગ્રહનો હિન્દી અનુવાદ ‘ખીડકી’ નામે કર્યો છે. પ્રો. રમેશ પટેલ અને પ્રો. નિસર્ગ કોઠારીએ ‘બારી’ સંગ્રહની વાર્તાઓનો અંગ્રેજી અનુવાદ 'Hesitation & other stories’ નામે કર્યો છે. તેમની કેટલીક વાર્તાઓનો અનુવાદ મરાઠી, બંગાળી, કન્નડ, તમિળ અને તેલુગુ ભાષાઓમાં પણ થયો છે. ‘મારી કથા’, ‘છેલ્લા સાક્ષીઓ’, ‘દસ ધર્મ’ અનુવાદનાં પુસ્તકો છે. હિન્દી લેખિકા ગગન ગિલના પ્રવાસગ્રંથ ‘અવાક’નો અનુવાદ ટૂંક સમયમાં પ્રકાશિત થવાનો છે. તેમનો ‘શબ્દચક્ષુ’ નામે વિવેચન ગ્રંથ અને અનુવાદ કાવ્યોનું પુસ્તક પણ પ્રેસમાં છે. તેમના લેખ, સમીક્ષાઓ વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહે છે.