કવિ-ગદ્યકાર નર્મદે પોતાનાં સર્વ ગદ્યલખાણો એકવગાં રહે ને એકસાથે સચવાયેલાં રહે એ માટે ઈ.1865માં ‘નર્મગદ્ય’ પ્રકાશિત કરેલું. એમણે લખેલું કે, ‘આ સંગ્રહ મેં મારે માટે જ છપાવ્યો છે, પછી લોક એનો લાભ લો તો લો.’ નર્મદે ખૂબ પદ્ધતિસર વિભાજન કરીને આ લેખન-પ્રવચનરૂપ લખાણોને નિબંધો, સંવાદો, નોંધો, ‘ડાંડિયો’ સામયિક-પત્રમાંથી લીધેલાં લખાણો, મધ્યકાલીન કવિઓનાં ચરિત્રો – એવા વિભાગોમાં રજૂ કરેલાં છે. એથી નર્મદની સર્વ લેખન-તરાહોનો એક સ્પષ્ટ આલેખ ઊપસે છે.


ગદ્યકાર તરીકે નર્મદના વિચારો, એમના ચર્ચા-ઊહાપોહો વેગીલી ને સર્જનાત્મક શૈલીમાં વ્યક્ત થયા હોવાથી એ જીવંત લાગે છે – આજે પણ એ વાંચતી વખતે આપણે નર્મદને જાણે કે સાંભળતા હોઈએ એવા લાગે છે. અંગ્રેજી વિદ્યાના સંસ્કારને લીધે નર્મદની સુધારાલક્ષી રૂઢિભંજકતાને અર્વાચીનતાનો એક શાસ્ત્રીય સ્પર્શ પણ મળેલો છે. નર્મદના લાક્ષણિક વ્યક્તિત્વની સાથે જ આ ગદ્યલખાણોમાં એમના જમાનાનું વાતાવરણ પણ તાદૃશ થાય છે.


ઈ.1865માં પ્રગટ થયેલા આ ગ્રંથની પછીથી શાળા-પાઠ્યપુસ્તક તરીકે આવૃત્તિઓ થઈ એમાં ઘણું બાદ થયેલું, ઘણા ફેરફારો થઈ ગયેલા. એટલે ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસે જ્યારે આ(હવે આપણે વાંચીશું એ) આવૃત્તિ ઈ.1912માં કરી ત્યારે નર્મદની પહેલી (1865ની) આવૃત્તિનાં સર્વ લખાણો એ મૂળ જૂના રૂપમાં જ સાચવી લીધાં – એ કારણે એને ‘જૂનું નર્મગદ્ય’ એવું ગ્રંથ-શીર્ષક આપ્યું. ‘(નર્મગદ્ય’ની છેક હમણાં સુધીની આવૃત્તિઓની રોમાંચક વાત આ પુસ્તકને અંતે મૂકેલા એક લેખમાં રજૂ કરી છે.)


તો હવે, નર્મદના ગદ્યને અસલ રૂપે વાંચીએ –


– રમણ સોની

નર્મદ

નર્મદ

વધુ જાણો

નર્મદનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close