કુન્દનિકા કાપડીઆ
કુન્દનિકા કાપડિયા (જ. 11 જાન્યુઆરી 1927, લીંબડી; અ. 30 એપ્રિલ 2020, વલસાડ) : અગ્રણી ગુજરાતી વાર્તાકાર. પિતાનું નામ નરોત્તમદાસ, પતિ મકરંદ દવે. ઉપનામ ‘સ્નેહધન’. વાર્તા, નવલકથા અને નિબંધક્ષેત્રે અર્પણ. પ્રારંભનું પ્રાથમિક-માધ્યમિક કક્ષાનું શિક્ષણ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં. 1948માં ભાવનગરમાંથી બી.એ. થયાં. મુખ્ય વિષયો રાજકારણ અને ઇતિહાસ. ‘યાત્રિક’ અને ‘નવનીત’નાં સંપાદક તરીકેની ઊજળી કામગીરી પણ તેમણે બજાવી હતી. સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને 1985માં પ્રાપ્ત થયો.
તેમનું રસક્ષેત્ર વૈવિધ્યભર્યું રહ્યું છે. જીવન અને જગત પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ અપાર વિસ્મયોથી ભરેલો છે. શેક્સપિયર અને ઇબ્સન જેવા વિદેશી નાટ્યકારો અને શરદચંદ્ર તેમજ રવીન્દ્રનાથ જેવા બંગાળી લેખકો ઉપરાંત ધૂમકેતુ જેવા ગુજરાતી લેખકો તેમની રસ-રુચિને અનેકશ: સંકોરતા રહ્યા છે. તેથી સ્વાભાવિક રીતે તેમના લેખન ઉપર તેઓનો પ્રભાવ વિસ્તરતો જણાય. ‘પ્રેમનાં આંસુ’ (1954), ‘વધુ ને વધુ સુંદર’ (1968), ‘કાગળની હોડી’ (1978) અને ‘જવા દઈશું તમને’ (1983) તેમના પ્રમુખ વાર્તાસંગ્રહો છે. તેમની વાર્તાઓમાં માનવસતવેદનાના કોઈક ને કોઈક અંશને હૃદ્ય રીતે ઉઠાવ મળતો જણાય છે. પ્રેમ, પ્રકૃતિ, સંગીત અને ચિંતન જેવાં તત્ત્વો તેમની વાર્તાઓમાં એક યા બીજી રીતે બળ પૂરતાં રહે છે. તેમનાં પાત્રો લાગણીશીલ છે.
‘પરોઢ થતાં પહેલાં’ (1968), ‘અગનપિપાસા’ (1972), ‘સાત પગલાં આકાશમાં’ (1984) તેમની મુખ્ય નવલકથાઓ છે. પ્રારંભની બંને નવલકથાઓ મનુષ્યના ભીતરને સુપેરે ઉદ્ઘાટિત કરી આપે છે. એ માટે બહિર્ વાસ્તવ અને એના ઘટનાપ્રસંગોને તેમણે ખપમાં લીધાં છે, પણ તે દ્વારા માણસના મૂલ સ્રોતને જ પકડવાનો ને નિરૂપવાનો તેમનો ઉપક્રમ રહ્યો છે. માનવ છેવટે પોતાના ઉપર જ આવીને ઠરીઠામ થાય છે, આનંદરૂપ નાભિ-કસ્તૂરીને પામે છે અને હૃદયની સત્તા જ પર્યંતે સર્વેસર્વા બની રહે છે, એવો તાર એ કૃતિઓમાંથી પકડી શકાય છે.
સાહિત્ય અકાદમી, દિલ્હી-પુરસ્કૃત ‘સાત પગલાં આકાશમાં’ પ્રમાણમાં કંઈક જુદી પડતી નવલકથા છે. ભિન્ન ભિન્ન રીતે ઊહાપોહ જગવી ચૂકેલી આ કૃતિમાં નારીશોષણની સામે સામાજિક વિદ્રોહની વાત કેન્દ્રમાં રહી છે. સ્ત્રી જુદે જુદે રૂપે કેટલું અને કેવું સહન કરતી આવી છે તે અહીં અનેક સ્ત્રીઓ અને તેમના પરિવાર દ્વારા અભિવ્યક્ત થયું છે. આ સમસ્યાપ્રધાન કૃતિમાં હેતુ કંઈક આગળ રહે છે અને કલાતત્ત્વ પાછળ. આમ છતાં એનું ચોક્કસ દસ્તાવેજી મૂલ્ય રહ્યું છે.
‘ચંદ્ર તારા વૃક્ષ વાદળ’માં તેમણે ભાવપૂર્ણ નિબંધો આપ્યા છે. પ્રકૃતિ, પંડ અને બ્રહ્માંડમાંથી સારવી લીધેલી કેટલીક ક્ષણોને અહીં રોચક શબ્દરૂપ મળ્યું છે.
ઉપરાંત શ્રીમતી લૉસ ઇંગ્લસ વાઇલ્ડરની નવલકથાનો અનુવાદ ‘વસંત આવશે’; મેરી એલન ચેઝનાં શૈશવનાં સ્મરણોનો અનુવાદ ‘દિલભર મૈત્રી’; બંગાળી લેખિકા રાણી ચંદના પ્રવાસવર્ણનનું ભાષાન્તર ‘પૂર્ણકુંભ’ તેમની પાસેથી મળ્યાં છે.
‘દ્વાર અને દીવાલ’ તેમજ ‘પરમ સમીપે’ અનુક્રમે તેમના પ્રકીર્ણ લેખો અને પ્રાર્થનાસંકલનના સંગ્રહો છે. વલસાડથી ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ આશ્રમ સ્થાપીને કુન્દનિકાબહેન અને મકરંદભાઈએ આદિવાસી સમાજની સેવા આરંભેલી; પરંતુ ઈ. સ. 2005માં મકરંદભાઈનું અવસાન થતાં એ આશ્રમનું સંચાલન કુન્દનિકાબહેન કરતા હતા.
— પ્રવીણ દરજી
‘ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર
વિમલ વ. દવે
વિમલ વ. દવે આમ તો અર્થશાસ્ત્રના અનુસ્નાતક તેમજ કાયદો તથા પર્સોનલ મેનેજમેન્ટની પદવી સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાના ફેલો મેમ્બર. ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-૧ તથા ૨ની સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રથમ સ્થાને આવ્યા બાદ અંગત કારણોસર સરકારી નોકરી છોડી અને કોર્પોરેટ સેક્ટરમાં જોડાયા. સપ્ટેમ્બર, ૨૦૦૭માં ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમમાંથી કંપની સેક્રેટરી અને ચીફ એડવાઈઝર (લીગલ)ના પદેથી નિવૃત્ત થયા. આમ વ્યવસાયે તો સાહિત્યના માણસ નહીં, પરંતુ ઘરમાં સાહિત્ય તેમજ અધ્યાત્મનું ઉત્તમ વાતાવરણ એમને મળ્યું. સાંઈ મકરન્દ દવે એમના કાકા, તો પ્રસિદ્ધ કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એમના માસા થાય. પિતા વસંતભાઈ આઈ.એ.એસ. અધિકારી હતા પરંતુ પૂરા સાહિત્યરસિક તથા અધ્યાત્મ માર્ગના સાચા પ્રવાસી, તો માતા કાન્તાબહેનને તો મકરન્દભાઈએ એમના કાવ્યારંભના દિવસોમાં ગુરુપદે સ્થાપેલા. રામકૃષ્ણ-વિવેકાનંદનું સાહિત્ય તેમજ રમણ મહર્ષિના સાહિત્યનું એમણે આકંઠ પાન કર્યું તથા વર્ષોથી શ્રી રામકૃષ્ણ આશ્રમ તેમજ રમણાશ્રમ સાથે ભાવસંબંધથી જોડાયેલા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઉપનષદો તથા બ્રહ્મસૂત્રનો શાંકરભાષ્ય સાથે અભ્યાસ સમર્થ આચાર્યો સ્વામી દયાનંદજી, સ્વામી વિદિતાત્માનંદજી અને સ્વામી સુબોધાનંદજી પાસે લગભગ પચીસ વર્ષ કરવાનું સદભાગ્ય એમને મળ્યું. હાલમાં વિમલભાઈ નંદિગ્રામમાં ટ્રસ્ટી છે તથા નંદિગ્રામમાં આનંદમયી આશ્રમ, ભીમપુરા તથા અન્ય સ્થળોએ વેદાંત ગ્રંથોની સહચિન્તન શિબિરો તથા વેદાંતના ઓનલાઇન વર્ગોમાં કાર્યરત છે.
કુન્દનિકા કાપડીઆ, વિમલ વ. દવેનાં અન્ય પુસ્તકો
અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪
સંપાદકો: અજયસિંહ ચૌહાણ, અશોક ચૌધરી, કનુભાઈ વાળા, ગુણવંત વ્યાસ, દીપક પટેલ, બી. બી. વાઘેલા, વર્ષા પ્રજાપતિ, સુનીલ જાદવ, હૃષીકેશ રાવલ
-
-
-
ઇબુક
અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર
સંપાદકો: અજયસિંહ ચૌહાણ, અશોક ચૌધરી, કનુભાઈ વાળા, ગુણવંત વ્યાસ, દીપક પટેલ, બી. બી. વાઘેલા, વર્ષા પ્રજાપતિ, સુનીલ જાદવ, હૃષીકેશ રાવલ
-
-
-
-
-
-